સોમવાર, 24 ઑક્ટોબર, 2011

હંસલા શિવને રટીલે

મળ્યો તને માનવ અવતાર હંસલા શિવને રટીલે,
વાંકો કોઈ કરશે ન વાળ હંસલા શિવને રટીલે.

જગતના ચોકમાં આવ્યો તું જ્યારથી
ભૂલી ગયો રામને માયાવી પ્યારથી
વધ્યો માથે દેવાનો ભાર હંસલાo

સંપતિમાં સુખ નથી સાચું જીવનનું
કરતો સદાય તું ધાર્યું તારા મનનું
જાણ્યો નહિ જિંદગીનો સાર હંસલાo

ઝાંઝવાના જળ જોઈ દુર દુર ભટક્યો
આશાના તંતુએ અધ્ધર તું લટક્યો
કામ નહિ આવે પરિવાર હંસલાo

ભક્તિને પંથ જાતા ભક્તો સાંભળજો
મૂડી ઝાઝી ભજનની બાંધજો
થઇ જાયે ત્યારે બેડો પાર હંસલાo

રવિવાર, 9 ઑક્ટોબર, 2011

શબ્દ કસોટી

Project Work - Bamboo a Wonderful Plant

વિદ્યાર્થીઓએ કરેલા પ્રોજેક્ટ વર્કને એક અલગ સ્વરૂપે રજુ કરીએ છીએ. ગમે તો કેજો.અને ન ગમે તો જરૂર કેજો.



પીરીયડ પ્લાનીંગ


  • બી.એડ. અને પી.ટી.સી.માં આપણને બધાને પીરીયડ પ્લાનીંગની ખુબ પ્રેકટીશ કરાવવામાં આવી હતી. દરેક બાબતને આપણે સમય સાથે સાંકળીને ભણાવતા હતા. કોઈ વાત અધૂરી ન રહી જાય.કશું આયોજનમાંથી ભૂલાઈ ન જાય. એના માટે આપણે અડધા અડધા થઇ જતા.

  • પણ છેલ્લે ઈન્ટર્નશીપમાં ખુબ મજા પડતી. કેમ કે ત્યાં વગર આયોજને ભણાવવા મળતું. એવું લાગતું કે વિચારોના ઘોડાને આયોજનના બંધનમાંથી મુક્તિ મળી ગઈ હોય. મારી ઈન્ટર્નશીપ જી.ટી.શેઠ નામની હાઈસ્કુલમાં હતી. મજા તો આવી પણ સાથે સાથે ઘણું બધું શીખવાનું મળ્યું.

  • છેલ્લા દિવસે ત્યાંના સ્ટાફના એક સાહેબશ્રી નિરંજનીભાઈ સાથે અમે ચા પીવા માટે બહાર ગયા.તેમણે ચર્ચા દરમ્યાન એક સરસ વાત કરી હતી. તેમણે કીધું કે એક અડધી કલાકના પીરીયડમાં તમારે બે જ કામ કરવાના, વીસ મીનીટ ભણાવવાનું પણ દસ મીનીટ એ કરો જે બાળકને ગમે છે.એટલે કે વીસ મીનીટ તમને ગમે તે અને દસ મીનીટ વિદ્યાર્થીને ગમે તે. મને એમની આ વાત ખુબ ગમી હતી અને યાદ પણ રાખી છે.

  • પણ હું શિક્ષક બન્યો પછી મેં એક વિચાર કર્યો. મને થયું કે આપણે ભણાવવું તો છે જ પણ તો પછી આપણે વિદ્યાર્થીને ગમે એ રીતે જ કેમ ન ભણાવીએ ? અને એના માટે હજુ પણ મારા પ્રયત્નો ચાલુ છે. તમે પણ કોશિશ કરજો ખુબ ગમશે...


“वो एक नायाब तस्वीर है खुदा की,
          बच्चा जब हस्ता है, रहेमत है खुदा की.”

{ઘરનો શેર છે એટલે ભૂલચૂક લેવી-દેવી.}

  • Suggestions are always welcomed. (Write in comments.)

મિચ્છામી દુક્કડમ


            મિત્રો, ભારત દેશમાં ધર્મોની ઘણી બધી વિવિધતાઓ છે અને આ વિવિધતાઓમાં વિશેષતાઓ પણ છે. જૈન ધર્મમાં પર્યુષણ પર્વ આવે છે.આ પર્વનો એક જ સંદેશ છે,
  • “માફી માગો અને માફી આપો.”

            વર્ગમાં ભણાવતી વખતે આપણે આ વાતને ખુબ સહજતાથી ભૂલી જઈએ છીએ. વિદ્યાર્થીને શીખવીએ અને જો તે ભૂલ કરે તો, ‘ગધેડા જેવો’, ‘બુદ્ધિ વગરનો’ જેવા કેટકેટલા સંબોધનો આપણે એને કરી નાખીએ છીએ. પણ એવા શિક્ષકોને મારો એક પ્રશ્ન છે,
  • “તમે એવા કેટલા વ્યક્તિને ઓળખો છો જેણે ક્યારેય ભૂલ જ નથી કરી?”

            મને જવાબ ખબર છે. તમને પણ ખબર છે. તમે શું પોતાનું નામ લઇ શકશો? નહિ. તમે તરત એક વાક્ય બોલશો,
  • “માણસ માત્ર ભૂલને પાત્ર.”

            આ વાક્ય આપણને ત્યારે જ યાદ આવે છે જ્યારે ભૂલ આપણે કરી હોય. બીજા માટે આ વાક્ય આપણા મગજમાં આવતું જ નથી.
            એકવાર મેં એક છોકરાનું લેશન જોયું. એણે કેટલાક વાક્યો લખવાના હતા. મને એમાં ભૂલ દેખાણી તો મેં સુધારી નાખી. મારા માટે આ સામાન્ય હતું પણ એના માટે નહિ.

એ બોલ્યો, “ લે, સરે તો સુધારી દીધું.”
મેં પૂછ્યું, “તો બીજું શું કરું?”
તે બોલ્યો, “બીજા હોય તો ચોકડી મારી દે અથવા તોડી નાખે અને બીજી વાર લખવાનું કે’.”
મેં કીધું, “હું આમ જ કરું છું.”

            સાચું કહું છું, મેં આજે પણ એ નિયમ જાળવી રાખ્યો છે. અને તમે જો આવી ભૂલ ક્યારેય કરી હોય તો દિલથી એકવાર “મિચ્છામી દુક્કડમ” બોલીને એવું બીજી વાર ન થાય એવા પ્રયત્નો કરજો.

અને હા મારાથી કોઈ ભૂલ થઇ હોય તો તમને પણ મારા,
“મિચ્છામી દુક્કડમ”.

No Grave


There is no grave,
can hold my body down.”

                  મિત્રો, wwe થી જો તમે અજાણ હોવ તો કહી દઉં કે અંડરટેકર નામનો એક વ્યક્તિ છે જેના એન્ટ્રન્સ સોંગમાં ઉપરની લાઈન આવે છે. વાક્ય સમજાવું?
Grave’ નો અર્થ થાય છે કબર. એટલે કે વાક્યનો અર્થ જોઈએ તો...

                 “એવી એકેય કબર નથી જે મારા શરીરને નીચે જકડી રાખી શકે.”
                 
                  પરંતુ આપણા માટે તો અહિયા પણ શીખવા જેવું છે. માનવ જીવનમાં ઘણીવાર મુશ્કેલીઓ, સંકટો અને જુદા જુદા વિકટ સંજોગો આવતા હોય છે. મારા માટે પણ એવું બનેલું. પણ એ સંજોગો કહેવાની મારી ઈચ્છા નથી. પણ તે સમયે આ વાક્યે મને ઘણું જ પ્રોત્સાહન આપ્યું હતું. આ વાક્યે મને એક આક્રમક વિચારધારા આપી. જાણે કે આત્મવિશ્વાસનો એક નવો સ્ત્રોત જ આપી દીધો.
                  મુશ્કેલીઓ અને સંકટોની સામે લડવાની તાકાત મળી ગઈ. તેથી હંમેશા યાદ રાખો કે તમે ખુદ વિજેતા છો. અને તમે હંમેશા જીતવાના જ છો.મુશ્કેલીઓ છે,હશે અને રહેવાની છે.પણ તેમની તાકાત નથી કે તમને રોકી શકે.
So, keep winning the war of your Life.

શુક્રવાર, 7 ઑક્ટોબર, 2011

અંગ્રેજીનો ડર

આ માસના અમારા નિર્ઝર અંકમાં મારો એક અનુભવ છપાયો છે. જરા વાંચીને કેજો કેવો લાગ્યો ?


શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

હું ગાંડો નથી રે હું કાઈ ઘેલો નથી રે


હું ગાંડો નથી રે હું કાઈ ઘેલો નથી રે,
કોઈનો છેતરો છેતરાવ એવો ભોળો નથી રે.

ચાર પાંચ ફૂલ લઇ મને ચઢાવે,
ઇનામ મેળવવા માનતા માને,
                પાંચ ફૂલે પાંચ લાખ દેતો નથી રે.            -હું ગાંડોo

ચપટી ચોખા લઇ મંદિરીયે આવે,
મારા ઉપર હો ફદીયા ફગાવે,
                એવા પીતળિયા હું કાઈ લેતો નથી રે.         -હું ગાંડોo

મારા બનાવેલા મને બનાવે,
ગર્ભવાસ ના કોઈને ભુલાવે,
                વખત આવે ત્યારે મેલતો નથી રે.             -હું ગાંડોo

મારા નામની ફિલમ ઉતારે,
ભોળા લોકોને જોવા લલચાવે,
                અર્ધાની ટીકીટમાં હું સસ્તો નથી રે.            -હું ગાંડોo

બાવરચી


લેખક : વાળા પ્રતિક એમ.
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા

બાવરચી

                                                રાજેશ ખન્નાની એક જૂની ફિલ્મ ‘બાવરચી’ વિષે વાત કરીએ. આ ફિલ્મમાં એક કુટુંબ છે જેમાં દરેક સભ્ય એકબીજાની સાથે ઝઘડ્યા જ કરે છે. તેમની એકબીજા પ્રત્યે અપેક્ષાઓની યાદી એટલી મોટી છે કે સામેની વ્યક્તિ એ યાદી પૂરી જ કરી શકે નહિ અને જ્યારે અપેક્ષા પૂરી ન થાય ત્યારે પે’લા અસંતોષ, ક્રોધ અને છેલ્લે મનભેદ ઉત્પન્ન થાય છે.

                        આપણે પણ આવું જ કરીએ છીએ. એક શિક્ષક તરીકે આપણે ઇચ્છીએ છીએ કે આપણા વર્ગનો દરેક વિદ્યાર્થી હોશિયાર હોય. આપણે એક વખત શીખવીએ અને બધાને બધું એક સાથે આવડી જાય. ખરેખર તો તમે અને હું બંને જાણીએ છીએ કે  અશક્ય છે.

                        પણ ચિંતા ન કરો. આપણી આવી આ માનસિકતાનો ઈલાજ પણ આ ફિલ્મમાં જ આપેલો છે. ફિલ્મમાં કામ કરવા માટે આવેલો નોકર (બાવરચી) બધી સમસ્યાઓને ખતમ કરી નાખે છે.તે બે ભાઈઓ વચ્ચે સમાધાન કરવા માટે એવી ખોટી વાત કરે છે કે બીજો ભાઈ તેના વખાણ કરતો હતો. ટૂંકમાં, એ દરેક સભ્યને એ જ વાત કહે છે જે એને સાંભળવી ગમશે જ. એટલે એ એની અપેક્ષાઓને પૂરી કરે છે, શાબ્દિક રીતે.

                        આ જ વાત આપણે પણ કરવાની છે. વિદ્યાર્થીને થોડા વખાણ, થોડી પ્રશંસા અને થોડા પ્રોત્સાહનની જ જરૂર છે. અને એક સારો શિક્ષક એ ખુલ્લા મનથી આપતો જ રહે છે. યાદ રાખો, ખોટા વખાણ નહિ પરંતુ એવી બાબતોના વખાણ જેને બધા લોકો નજરઅંદાજ કરી દેતા હોય છે. એનામાં રહેલી નાનામાં નાની કળા કે બાબત કે જેના વખાણ કરવા જોઈએ.

                        પરંતુ આનાથી વિદ્યાર્થી હોશિયાર નથી થવાનો હો ! એ કહી દઉં.આનાથી વિદ્યાર્થી તમને પસંદ કરતો થશે અને તમે જે કામ એને પહેલા ફરજીયાત અથવા પરાણે કરાવતા હતા તે જ કામ હવે તે પોતાની ઈચ્છા અને ઉત્સાહથી કરશે. એટલે તમારા વિદ્યાર્થીની ૫૦% સફળતા પાકી.

                        હવે વિદ્યાર્થી જ્યારે કોઈ તોફાન કરે, કોઈ ભૂલ કરે તો જો એ ભૂલ શૈક્ષણિક હોય તો તમારે સુધારવાની અને જો તોફાન હોય તો એની પાસે સુધરાવો. એક વાત યાદ રાખજો કે સ્કુલના ગેટમાં આવ્યાથી બહાર નીકળ્યા સુધી તમારે બાળકોને હકારાત્મકતા જ આપવાની છે.

                        એક અઠવાડિયું અખતરો કરી જુઓ. અને હા તેનું પરિણામ મને જણાવાનું ન ભૂલતા !